“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

રવિવાર, 29 ડિસેમ્બર, 2013

શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૩-'૧૪

ધોરણ – ૧ થી ૮
સ્થળ:- IPCL મંદિર, EME મંદિર, જલારામ મંદિર(ભોજન), કમાટીબાગ (પ્રાણીસંગ્રહાલય, ટોયટ્રેન, પ્લેનેટોરિયમ), વિમાનમથક, આજવા-નિમેટા (ડાન્સિંગ ફુવારા).
પ્રવાસ ઉપાડવાની તારીખ :- તા- ૨૮/૧૨/૨૦૧૩ ને શનિવાર
સમય :- સવારના ૬:૦૦ કલાકે
પ્રવાસ પરત આવવાનો સમય :- તા- ૨૮/૧૨/૨૦૧૩ રાત્રે ૯:૦૦ કલાકે
કુલ પ્રવાસ ખર્ચ:- ૧૧૦/-
પ્રવાસમાં ભાગ લીધેલ બાળકો :- ૭૪(કુમાર) + ૯૫(કન્યા) = ૧૬૯ (કુલ)
પ્રવાસમાં સામેલ શિક્ષકગણ :- ૪(શિક્ષક) + ૩ શિક્ષિકા = ૭ (કુલ)
પ્રવાસમાં સાથે આવેલ વાલી :- ૨ (પુરૂષ) + ૨ (કન્યા) = ૪ (કુલ) {SMC સભ્ય સાથે}
                          પ્રવાસના આયોજનની પૂર્વ તૈયારીરૂપે તમામ સ્થળોની પૂર્વમંજૂરી લેવામાં આવી હતી જેથી અમારા આયોજનમાં કોઈ મુશ્કેલી કે અડચણ ના થાય.
                         તા- ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ને શનિવારના રોજ આ શાળામાંથી દર વર્ષની જેમ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. આયોજન મુજબ સવારના ૬:૦૦ કલાકે સૌ વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહથી શાળામાં આવી ગયા હતા. સંજોગો અનુસાર બસને થોડું મોડું થતા તે ૮:૦૦ વાગ્યે શાળામાં આવી હતી. સૌ વિદ્યાર્થીઓ સુચના મુજબ બસમાં ગોઠવાઈ ગયા. કુમાર અને કન્યા માટે અલગ બસમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસની શરૂઆત બંને બસોમાં પ્રાર્થનાથી કરવામાં આવી, જેના શબ્દો હતા “इतनी शक्ति....” ત્યારબાદ ભજન અને ધૂન પણ ગવડાવવામાં આવી. આમ ઈશ્વરને યાદ કરી અમે અમારા પ્રવાસને આગળ ધપાવ્યો. વિદ્યાર્થીઓ મસ્તીભર્યા વાતાવરણમાં સંગીતની રમઝટ સાથે મસ્ત થઇ ગયા હતા. બાળકો એક એક પળને ખુબજ આનંદ અને ઉલ્લાસથી માણતા હતા. બસમાં બાળકો શું અને શિક્ષકો શું તે ખ્યાલ જ આવતો ન હતો. શિક્ષકો પણ બાળકો સાથે બાળકમય બનીને સંગીતની રમઝટ માણતા હતા.
                      આનંદમય વાતાવરણ ને માણતા માણતા સૌપ્રથમ વડોદરામાં આવેલ IPCL મંદિરે (રીફાઈનરી રોડ) આવી પહોચ્યા. ત્યાં અમે કલાત્મક મૂર્તિઓની છણાવટનું પ્રદર્શન નિહાળ્યું. ત્યારબાદ તેમાં આવેલ દેવ - દેવીઓના દર્શન કર્યા. મંદિરને નિહાળતા તેની કામગીરી ખુબ જ અદભુત હતી. તે જોઈને આશ્ચર્ય થતું હતું. મંદિરના પટાંગણની લોકપ્રિયતાને અનુભવતા સૌ બસમાં ગોઠવાયા.
                             રીફાઈનરી રોડ ઉપર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રીમતી રીનાબેનની વિનંતી અને લાગણીને માન આપી અમે સૌ બાળકોને લઈને તેમના ઘરે ગયા હતા. જ્યાં તેમના પરિવારના સૌ અમારા આગમનની રાહ જોતા ઉભા જ હતા. સૌ બાળકોને બેસવાની વ્યવસ્થા કરી. બાળકો માટે સ્વાદિષ્ટ અને ગરમાગરમ નાસ્તાની વ્યવસ્થા કરી હતી. જેનો સૌ બાળકોની સાથે તમામ શિક્ષકો અને વાલીઓએ આનંદ માન્યો. તેમના પરિવારજનોને વિદાય આપી તથા તેમના ઉષ્માભર્યા આતિથ્યભાવને વાગોળતા અમે અમારા પ્રવાસને આગળ ધપાવ્યો.
                               ફતેગંજની બાજુમાં આવેલ EME મંદિરમાં દર્શન કરવા ગયા. જ્યાં ભગવાન શંકરનું ખુબ જ સુંદર મંદિર હતું. તેની બાજુમાં મિની અમરનાથ ઉભું કરવામાં આવ્યું હતું જે સૌએ નિહાળ્યું. થોડો સમય ત્યાં વિશ્રામ કરી ત્યાના સુંદર બાગ બગીચાને નિહાળતા અમે કેમ્પસમાં ફર્યા. EME કેમ્પસમાં અમને આપણા દેશના સૈનિકોની શિસ્ત અને દેશભક્તિના દર્શન કરવા મળ્યા.


                               EME મંદિર દર્શન કરી અમારે વિમાનમથક પહોચવાનું હતું પરંતુ બસ મોડી પહોંચવાને કારણે અમારે અમારું આયોજન બદલવું પડ્યું અને અમે પહેલા કારેલીબાગમાં આવેલ જલારામ મંદિર ખાતે ગયા. જ્યાં સૌ બાળકો માટે મફત જમવાની વ્યવસ્થા કરેલ હતી. સૌએ ત્યાં બાપાનો પ્રસાદ માણ્યો. યથાશક્તિ ભેટ મૂકી અમે જલારામ બાપાના દર્શન કર્યા.
                  અહીંથી અમારે નજીકમાં આવેલ કમાટીબાગ જવાનું હતું. જ્યાં સૌપ્રથમ અમે પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી. દેશ – વિદેશના સુંદર પ્રાણી-પક્ષીઓને નિહાળતા અમે આગળ જતા હતા. પ્રાણીસંગ્રહાલયમાં આવેલ કેટલાય પ્રાણી – પક્ષીઓને જીવદયા પ્રેમી લોકોએ દત્તક લીધા હતા. જે જાણી સૌ બાળકો ખુશ થઇ ગયા.
  અહીંથી અમે ટોયટ્રેનમાં બેસવા માટે કમાટીબાગમાંના રેલ્વેસ્ટેશનમાં ગયા. જ્યાં ટીકીટનો ભાવ ખુબ જ વધારે હતો પણ ગામડાના બાળકોને ટોયટ્રેનનો લાભ આપવા માટે ત્યાના મેનેજરે ખુબ જ મોટું વળતર બાદ કરી આપ્યું. અહી સુંદર મજાની ટ્રેન અને સુંદર મજાનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. પ્લેટફોર્મમાં અમારે અડધો કલાક રાહ જોવાની હતી. અહી યાત્રીઓ માટે બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી. અમારી સામે ખુબ જ મોટી LCD ટેલીવિજન પર વડોદરાના જોવા લાયક સ્થળોની વીડીઓ બતાવતા હતા અને તે સ્થળ વિશેની સંપૂર્ણ માહિતી આપતા હતા. અમને આખા વડોદરાના દર્શન ત્યાં બેઠા બેઠા જ થઇ ગયા. લગભગ અડધા કલાકના વિશ્રામ બાદ અમારી ટ્રેન પ્લેટફોર્મ પર આવી પહોંચી. અમે ટોયટ્રેનમાં બેસી આખા કમાટીબાગનો આંટો માર્યો. રસ્તામાં ઉભા લોકોને BY BY કરવામાં બાળકોને ખુબ મઝા આવતી હતી. અડધા કલાકના અમારા આંનદમય સફર બાદ અમે પ્લેટફોર્મ પર પરત આવી પહોચ્યા.
 
                         
                       અહીંથી અમે પ્લેનેટોરિયમમાં અમારા ભ્રહ્માંડના રહસ્યોને જાણવા તથા માણવા પહોચ્યા. સૌ પોતાની બેસવાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરી રાહ જોવા લાગ્યા.
થોડો સમય બાદ આખા હોલમાં અંધારું થઇ ગયું. અહી અમને એક પછી એક ગ્રહો અને તારાઓ વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી. તારાઓ ધ્વારા રચતા વિવિધ નક્ષત્રો, ગ્રહો અને રાશીઓ વિષે અમે સંપૂર્ણ માહિતગાર થયા. અમારું રાત્રીનું આકાશ તથા વિવિધ તારાસમુહો વિષે અને સુર્ય વિષે પણ અવનવું જાણવા મળ્યું. અહીંથી અમે બાગમાં આવેલ સંગ્રહાલયની મુલાકાત લીધી. જ્યાં રાજા – મહારાજાના સમયના અદભૂત વારસાને માણવા મળ્યો.
                         કમાટીબાગથી નીકળી અમે આજવા જવા નીકળ્યા. રસ્તામાં વિમાનમથકમાં જઈ અમે વિમાનમથકની મુલાકાત લેવાની મંજૂરી માગી. અગાઉ અમે અમારા આયોજન મુજબ સવારના ૯:૦૦ થી ૧૦:૦૦ કલાકની મંજૂરી લીધી હતી પરંતુ બસ મોડી પડવાથી અમે તે સમયમાં ત્યાં જઈ શક્યા નહિ. વિમાનમથકના વડાએ અમારી વિનંતીને માન્ય રાખી તથા અમારી મુશ્કેલી સમજીને અમને મુલાકાત લેવાની મંજૂરી આપી. અમારા સૌના સારા નસીબથી થોડી વારમાં જ એક વિમાન ઉડવાનું હતું. અમને વિમાનમથકમાં બનાવેલ વિઝીટર ગેલેરીમાં લઇ જવામાં આવ્યા. જ્યાં અમે વિમાનને ઉડતા નિહાળ્યું. અહી અમે વિમાનમથકના વિવિધ જગ્યાઓ નિહાળી.
                       વિમાનમથકથી નીકળી અમે આજવા-નિમેટા જવા નીકળ્યા. અહી આજવા સરોવરની બાજુમાં સુંદર મજાનો બાગ આવેલ હતો. જેમાં રંગબેરંગી ફુવારા નિહાળ્યા. વિવિધ આકારો અને રંગોને કારણે સુંદર દ્રશ્ય ઉભું થતું હતું. અહી રાત્રે ૭ કલાકે ડાન્સિંગ ફુવારા બતાવવામાં આવતા હતા. જેમાં સંગીતના તાલે ફુવારા મસ્ત બની નાચતા હોય તેમ લાગતું હતું. અંધારું થઇ ગયું હતું તેથી અમે સમય ન બગડતા ત્યાંથી પરત આવવા રવાના થયા.
 
                       રાત્રીમાં વડોદરા શહેરની રોશની અને ઝાહોજહાલી નિહાળી. વડોદરા શહેરથી બહાર નીકળતા જ સૌ બાળકો થાક ભૂલીને ફરીથી સંગીતના તાલે ઝૂમવા લાગ્યા. અમે પરત અમારા ગામમાં ૯:૦૦ કલાકે આવી પહોચ્યા. સૌ વાલીગણ અમારી રાહ જોતા હતા.
                          કોઈપણ જાતની મુશ્કેલી કે અડચણ વગર અમારો પ્રવાસ સુંદર અને સરસ રીતે પાર પાડ્યા બદલ અમે સૌએ ભગવાનનો ખુબ આભાર માણ્યો. બાળકો ખુબ જ આનંદની લાગણી અનુભવતા હતા. સૌના મુખે એક જ વાત હતી કે હજુ પ્રવાસ બે કે ત્રણ દિવસનો હોય તો કેવી મઝા આવી જાત! સૌ વાલીઓને વ્યક્તિગત બાળકો સોંપી દીધા.
                               આમ અમારો આ વર્ષનો પ્રવાસ પણ સુંદર રીતે પૂર્ણ થયો.

શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013

શિક્ષકદિનની ઉજવણી

                         આજરોજ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં ૨૦ બાળકો બાળશિક્ષકો બન્યા હતા. અગાઉ ૪/૯/૨૦૧૩ના રોજ તે બાળકોને શિક્ષકદિને કરવાની કામગીરીનું આયોજન આપી દેવામાં આવ્યું હતું. શાળામાં બે પાળી ચાલતી હતી તેથી બંને પાળી માટે અલગ અલગ આચાર્ય બનાવેલ હતા.


ચાલો બાળઆચાર્યના શબ્દોમાં તેમનો અનુભવ જાણીએ.


         સવારપાળી:- 
          તા-૫/૯/૨૦૧૩ના રોજ ટીવી પર કાર્યક્રમ નિહાળવાનો હોવાથી અમે ૬/૯/૨૦૧૩ના રોજ શિક્ષકદિન ઉજવવાનું નક્કી કર્યું હતું. અમે સૌ તૈયાર થઇ સવારે ૬:૪૫ કલાકે શાળામાં હાજર થઇ ગયા. બધા બાળશિક્ષકો ખુબ જ ઉત્સાહમાં દેખાતા હતા. મારામાં પણ એક અનેરો ઉત્સાહ હતો. દરેક બાળશિક્ષકે શિક્ષક હાજરીપત્રકમાં સહી કરી. બધા બાળશિક્ષકો આવી ગયા બાદ મે બાળશિક્ષકોની એક મીટીંગ રાખી જેમાં મે બાળકોને તેમને કરવાની કામગીરીની યાદ કરાવી થોડી મૌખિક સૂચનો આપ્યા. દરેક બાળક પોતાના વિષયને લગતી તૈયારીના ભાગરૂપે વિવિધ સામગ્રી લઈને જ આવ્યા હતા. તે જોઈ અમને શિક્ષકે અભીનંદન આપ્યા. અમારા શિક્ષક શ્રી નિલેશભાઈએ અમને જરૂરી સુચનો આપી બધાને હાર્દિક સુભેચ્છા પાઠવી. પ્રાર્થનાનો બેલ પડતા અમે પ્રાર્થના સભામાં ભેગા થયા. પ્રાર્થના પૂર્ણ થયા બાદ આચાર્ય તરીકે મે બાળકોનું સંબોધન કર્યું તથા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિષે જીગ્નેશભાઈએ બાળકોને જણાવ્યું. પ્રાર્થના પૂર્ણ થયા બાદ સૌ બાળશિક્ષકો પોતપોતાના વર્ગમાં ગયા. વર્ગમાં બાળશિક્ષકોએ પોતાને સોંપેલ કામગીરી કરવામાં વ્યસ્ત થઇ ગયા. થોડા થોડા સમયાંતરે હું વર્ગની મુલાકાત લેતો હતો. સૌ બાળશિક્ષકોને વર્ગના બાળકો સાથ સહકાર આપતા હતા. શિક્ષકો પાછળ બેસી તેમનું મૂલ્યાંકન કરતા હતા. બાળશિક્ષકો ખુબજ તૈયારીમાં આવ્યા હતા તેવું લાગ્યું. રીશેષ સમય દરમ્યાન મે એક સ્ટાફ મીટીંગ બોલાવી તથા અમારા માટે હળવો નાસ્તો રાખવામાં આવ્યો હતો તે અમે માણ્યો. સૌ ખુબ જ આનંદમાં હતા. બધાને ખુબ મજા આવતી હતી. રીશેષ પૂર્ણ થયે સૌ વર્ગમાં ગયા અને ૧૦:૩૦ કલાક સુધી શિક્ષણ કાર્ય કર્યું. ત્યારબાદ બધા બાળશિક્ષકોએ બાળકોને વિવિધ રમતો રમાડી. કોઈ વર્ગમાં રમત રમાડતું હતું તો કોઈ મેદાનમાં લઇ જઇ બાળકોને રમત રમાડતા હતા. અને ૧૧:૦૦ કલાકે અમે પ્રાર્થનાસભામાં ભેગા થયા. જેમાં અમે આખા દિવસ દરમ્યાનનો અનુભવ કહ્યો. મે પણ આખા દિવસ દરમ્યાન થયેલ અનુભવ શેર કર્યો. અમારા શિક્ષિકા બહેન શ્રીમતી રીનાબહેને અમને તથા સૌ બાળકોને અભિનંદન આપ્યા તથા અમારા કામના વખાણ કર્યા જે અમારા માટે કોઈ મોટા એવોર્ડથી ઓછું ન હતું. અમે મનમાં ભવિષ્યમાં પણ શિક્ષક બનવાના સંકલ્પ કર્યો. વિદ્યાર્થીઓએ પણ તેમને આજે કેવું લાગ્યું તે વિષે બે શબ્દો કહ્યા. આજના કાર્યક્રમમાં લીધેલ ભાગ માટે આચાર્યશ્રી તરફથી અમને એક પેન ભેટ રૂપે આપવામાં આવી. જમવાનો બેલ પડતા બાળકોને લઇ હાથ-પગ ધોવડાવી લોબીમાં જમવા બેસાડ્યા. બાળકો જમી રહ્યા પછી અમે છુટા પડ્યા. અમને ઘરે જવાનું મન થતું ન હતું પણ સમય પૂર્ણ થયે ઘરે જવાનું તો હતું જ. બપોરપાળી માટે નવા બાળશિક્ષકો આવી ગયા હતા. જેમની સાથે થોડો સમય વિતાવ્યો. અમારા શિક્ષક શ્રી નીલેશભાઈએ અમારા સૌની યાદગીરી માટે સૌના ફોટા પાડ્યા. દરેકના વ્યક્તિગત ફોટા પાડ્યા તથા સમુહમાં પણ ફોટા પાડ્યા. અંતે અમે છુટા પડ્યા.
લિ.
વિશાલકુમાર આર. પઢિયાર
ધોરણ – ૭

 
બપોર પાળી:-
                       આજે અમારી શાળામાં શિક્ષકદિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમે સૌ બાળશિક્ષકો શાળામાં ૧૦:૦૦ કલાકે હાજર થયા. મને શાળાના આચાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી. શાળામાં આવીને અમે કરવાના કામની વહેચણી અને ચર્ચા કરી ત્યારબાદ અમે પ્રાર્થનાસભામાં ભેગા થયા. પ્રાર્થનામાં અમે જેની યાદમાં “શિક્ષકદિન”ની ઉજવણી કરવામાં આવે છે તેવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપી. સમગ્ર પ્રાર્થના સંમેલન બાદ સૌ પોતપોતાના વર્ગમાં કામગીરી કરવા પહોચી ગયા. સૌ બાળકો પોતપોતાની કામગીરી ખંતથી કરતા હતા. તેઓ વિદ્યાર્થીઓને કવિતા, ગીત, પાઠનું વાંચન અને ગાન કરાવતા હતા. સૌ બાળશિક્ષકોની કામગીરીનું નિરીક્ષણ કરવા મે દરેક વર્ગમાં વિઝીટ કરી મને બધા બાળશિક્ષકો વ્યવસ્થિત કામ કરતા નજરે પડ્યા. બાળશિક્ષકોએ સમયસર રીશેષ પડાવી અને લાઈનમાં વિદ્યાર્થીઓને લાઈનમાં બેસાડી જમાડ્યા અને દરેક વિદ્યાર્થીનું ધ્યાન રાખ્યું. તમામ બાળશિક્ષકોને હળવો નાસ્તો આપવામાં આવ્યો ત્યારબાદ રીશેષ પૂરી કરી ફરીથી તેમનું કાર્ય કરવા લાગી ગયા. ૪:૦૦ કલાકે બાળશિક્ષકોએ વિદ્યાર્થીઓને રમત રમાડી, ત્યારબાદ સૌને સાચવીને વર્ગખંડમાં લઇ ગયા અને ભણાવવાનું શરુ કર્યું. ૪:૩૦ કલાકે સૌ શાળાના પટાંગણમાં ભેગા થયા. મે શિક્ષકોને તેમના દિવસ દરમ્યાન કરેલી કામગીરીના પ્રતિભાવો બધા સમક્ષ મુકવા કહ્યું. તમામ બાળશિક્ષકોએ ૧ થી ૫ ધોરણમાં કરેલા કાર્યના પ્રતિભાવ આપ્યા. શાળાના મુખ્યશિક્ષકે તેમજ અન્ય શિક્ષકોએ આ બાળકોને પ્રોત્સાહન આપવા બે ચાર વાતો કરી તથા ભેટ સ્વરૂપે એક પેન દરેક બાળકને આપી તેમજ તેમને તાળીઓથી વધાવી લીધા ત્યારબાદ સૌ ખુશ થઇ રાષ્ટ્રગીતનું ગાન કરી છૂટા પડ્યા.
લિ.
ભાવનાબેન જે. પરમાર
ધોરણ – ૭